વૉટ્સએપ અમુક સારાં કાર્યો કરે છે. તેના પર અમુક નાના-નાના પણ ઉત્તમ સંદેશાઓ આવે છે. આવા એક સંદેશા પૈકીનો એક છે - તુલસીદાસજીએ હજારો વર્ષ પહેલાં ‘હનુમાન ચાલીસા’માં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વર્ણવી દીધું હતું. ‘હનુમાન ચાલીસા’માં હનુમાનજીનું મહત્ત્વ વર્ણવાયેલું છે. હનુમાનજી સૂર્યને ફળ સમજીને તેને ખાવા ધસી ગયા હતા. તે વાત વર્ણવતા તુલસીદાસજીએ લખ્યું હતું:
જુગ સહસ્ર જોજન પર ભાનુ
લિલ્યો તાહિ મધુર ફલ જાનુ
ઉત્તર પ્રદેશ બાજુ ‘ય’ને ‘જ’ બોલાય છે. ‘વ’ને ‘બ’ બોલાય છે. ‘યજ્ઞ’ને ‘જજ્ઞ’ બોલાય છે. ‘યજમાન’ને ‘જજમાન’ કહેવાય છે. આ રીતે ‘યુગ’ને જુગ બોલાય છે. ‘યોજન’નું ‘જોજન’ થયું. એક યુગ બરાબર ૧૨,૦૦૦. સહસ્ર બરાબર ૧,૦૦૦. અને એક યોજન બરાબર ૮ માઇલ. આમ જુગ સહસ્ર બરાબર ૧૨,૦૦૦ ગુણ્યા ૧,૦૦૦ ગુણ્યા ૮ એટલે કે ૯૬ ની પાછળ છ શૂન્ય. ૯,૬૦,૦૦,૦૦૦ માઇલ. ૯ કરોડ ૬૦ લાખ માઇલ. માઇલને કિલોમીટરમાં ફેરવીએ તો એક માઇલ બરાબર ૧.૬ કિલોમીટર. ૯.૬ કરોડ માઇલ ગુણ્યા ૧.૬ બરાબર ૧૫,૩૬,૦૦,૦૦૦ એટલે કે ૧૫ કરોડ ૩૬ લાખ કિલોમીટર. નાસાની વેબસાઇટ પર જોશો તો સૂર્યથી પૃથ્વીનું અંતર ૯૩ મિલિયન એટલે કે ૯ કરોડ ૩૦ લાખ માઇલ અથવા ૧૫૦ મિલિયન કિલોમીટર અર્થાત ૧૫ કરોડ કિલોમીટર આપેલા છે.
હવે તુલસીદાસજી ક્યારે પૃથ્વી પર હતા? તુલસીદાસજીનો સમય ઈ.સ. ૧૫૩૨થી ૧૬૨૩નો કહેવાય છે. અને સૌ પ્રથમ વાર સૂર્ય અને પૃથ્વીનું અંતર ક્યારે મપાયું? કાસિની નામના વૈજ્ઞાનિકે ઈ. સ. ૧૬૭૨માં સૂર્ય અને પૃથ્વીનું અંતર સૌ પ્રથમ અને ચોક્કસ વૈજ્ઞાનિક રીતે આપ્યું. અર્થાત તુલસીદાસજીના દેહાંત પછી ૪૯ વર્ષ એટલે કે લગભગ અડધી સદી પછી.
પણ તુલસીદાસજીય સૌ પ્રથમ આ અંતર જણાવનાર નહોતા! એ તો એમના કરતાંય ઘણાં વર્ષો પહેલાં પુરાણોમાં અને તે કરતાંય પહેલાં રચાયેલા વેદોમાં અપાઈ ગયું હતું! પરંતુ આપણા ધર્મગ્રંથોમાં અપાયેલી વાતોને આપણે ‘મિથ’ (કથા) માની લઈએ છીએ. કેમ કે એમાં સજીવારોપણ કરીને વાત કરાયેલી છે. બૃહસ્પતિને ગ્રહ તરીકે નહીં પણ દેવોના ગુરુ તરીકે દર્શાવાયેલા છે. આ વાત સમજવા માટે તમારે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’નો એક એપિસોડ જે તાજેતરમાં રાત્રે ૧૧.૩૦ વાગે રિપીટ બતાવાયેલો જોવો પડે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો