લાખો ભક્તોની હાજરીમાં મધર ટેરેસાને આજે સંતત્વ પ્રદાન થશે
કોલકતા: વેટિકન સિટીમાં આખા વિશ્ર્વમાંથી આવનારા મધર ટેરેસાના લાખ કરતાં વધુ અનુયાયીઓની હાજરીમાં રવિવારે તેમને સંતપદ આપવાનો સમારોહ યોજાયો છે. રોમન કેથોલિક ચર્ચના પોપ ફ્રાન્સીસ મધર ટેરેસાને સંત જાહેર કરશે. આ સમારોહ દરમિયાન વિદેશી બાબતોના પ્રધાન સુષમા સ્વરાજના નેતૃત્વ હેઠળનું ૧૨ સભ્યોનું બનેલું એક કેન્દ્રીય પ્રતિનિધિમંડળ અને રાજ્ય સરકારના સ્તરના બે પ્રતિનિધિમંડળ હાજર રહેશે. જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નેતૃત્વ હેઠળના બે પ્રતિનિધિમંડળ પણ આ સમારોહમાં હાજર રહેશે. મધર ટેરેસાની લોકપ્રિયતા જોતાં આ સંતપદનું ખાસ વૈશ્ર્વિક મહત્ત્વ છે એમ નોબેલ પારિતોષિક વિજેતા સ્વર્ગસ્થ ટેરેસાએ સ્થાપેલા મિશનરીઝ ઓફ ચેરિટીના સાધ્વીએ જણાવ્યું હતું.
મિશનરીઝ ઓફ ચેરિટીઝના વડા સિસ્ટર મેરી પ્રેમાના નેતૃત્વ હેઠળ દેશના વિવિધ ભાગોમાંથી ૫૦ જેટલી સાધ્વીઓ પણ સમારોહમાં હાજર રહેશે.
કોલકતાના આર્કબિશપ થોમસ ડિ’સોઝા અને ભારતમાંના બીજા ૪૫ જેટલા બિશપો અત્યારે વેટિકન પહોંચી ગયા છે.
કોલકતાની ગલીઓમાં વસનારા ગરીબો અને માંદાઓની સેવા કરવામાં ૪૫ વર્ષ ગાળનારા મધર ટેરેસાને પોપ ફ્રાન્સીસે માર્ચ મહિનામાં જ સંતપદ આપવાની જાહેરાત કરી હતી. મધર ટેરેસાના મૃત્યુ બાદ તેમની સાથે જોડાયેલા બે ચમત્કાર થયા હોવાને ચર્ચે માન્યતા આપ્યા બાદ તેમને સંતપદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ સમારોહને ધ્યાનમાં રાખીને મધર ટેરેસા જ્યાં રહ્યા હતા અને તેમણે જ્યાં કામ કર્યું હતું એ શહેરમાં અનેક ઈવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું છે. (એજન્સી)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો